આમોદના રાણાસ્ટ્રીટ વિસ્તારમાં સાંજના ચાર કલાકે મકાનમાં પ્લાસ્ટર કામ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું હતું. દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો તેમજ સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ હતી.આમોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા વિજય લક્ષ્મણ રાઠોડ કડિયા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તેઓ આમોદના રાણાસ્ટ્રીટ વિસ્તારમાં આવેલા મહેશ નરસિંહભાઈ મકવાણાના મકાનમાં પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હતા. દરમિયાન આજે સાંજે આશરે ૪ વાગ્યાના અરસામાં અચાનક વીજ કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં મકાન માલિકે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ત્યારબાદ વિજયભાઈને સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, હાજર તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
વિજય લક્ષ્મણ રાઠોડના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત બે દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે.તેઓ પરિવારના મુખ્ય કમાનાર આધારસ્તંભ હતા.પરિવારનું ગુજરાન ચલાવનાર વ્યક્તિનું અચાનક મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.આકસ્મિક ઘટનાને પગલે ભીમપુરા ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.
–આમોદ રિપોર્ટર યાસીન દીવાન

