જંબુસર:
જંબુસર વિધાનસભા વિસ્તારમાં ભાજપના તાજેતરના સંગઠન પુનર્ગઠન બાદ કેટલાક વરિષ્ઠ કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી હોવાનું સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નવા સંગઠન માળખા મુજબ કેટલીક નિમણૂકો માટે ઉંમર મર્યાદા નક્કી કરાતા આ મુદ્દે પાર્ટીના આંતરિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
મળતી માહિતી મુજબ તાલુકા અને શહેર પ્રમુખ માટે 45 વર્ષથી ઓછી ઉંમર, જ્યારે જિલ્લા પ્રમુખ, મહામંત્રી તેમજ જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા જેવા હોદ્દાઓ માટે 60 વર્ષથી ઓછી ઉંમરની મર્યાદા રાખવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આ નિર્ણયને કારણે લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક અનુભવી કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
પક્ષના કેટલાક વરિષ્ઠ આગેવાનોનું માનવું છે કે વર્ષોથી પાર્ટી માટે કાર્ય કરનાર અને સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કાર્યકરોને હવે પૂરતું મહત્વ મળતું નથી. કેટલાક આગેવાનોનું કહેવું છે કે એક સમય એવો હતો જ્યારે ભરૂચ જિલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અને તે સમયે કાર્યકરો દ્વારા સતત સંઘર્ષ કરીને ભાજપની વિચારસરણી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.
આગેવાનોનું કહેવું છે કે કાર્યકરોના તન, મન અને ધનના યોગદાનથી ભાજપ આજે મજબૂત બની છે અને સત્તાના વિવિધ સ્તરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેથી ઉંમર આધારિત મર્યાદાના કારણે અનુભવી કાર્યકરોને અવગણના અનુભવાય છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મળેલી જંગી જીતમાં વરિષ્ઠ આગેવાનોનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. આ કારણે પાર્ટીમાં તેમના અનુભવ અને માર્ગદર્શનને યોગ્ય સ્થાન મળવું જોઈએ તેવી માંગ પણ કેટલીક જગ્યાએથી ઉઠી રહી છે.
જોકે, પક્ષના કેટલાક કાર્યકરો દ્વારા નવી ટીમને શુભેચ્છા પાઠવતા જણાવાયું છે કે નવા હોદ્દેદારો આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની વિચારધારાને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડશે.
હાલ આ મુદ્દે પાર્ટીના સ્થાનિક વર્તુળોમાં વિવિધ મતપ્રવાહ જોવા મળી રહ્યા છે અને સંગઠન પુનર્ગઠનને લઈને ચર્ચાઓ ચાલુ છે.

© JN Express. આ સમાચાર અથવા લેખની નકલ કરવા માટે પૂર્વ પરવાનગી જરૂરી છે.
