ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા મહત્વના માર્ગ પર મુસાફરો અને વાહનચાલકો માટે મોટી ખુશખબર સામે આવી છે. ઢાઢર નદી પર હાલના જૂના બ્રિજની સમાંતર એક નવો બ્રિજ બનાવવા માટે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગ દ્વારા રૂ. 19.19 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા જૂના બ્રિજના રિપેરિંગ અને મજબૂતીકરણ માટે પણ સત્તાવાર લીલી ઝંડી આપવામાં આવી છે.
વિભાગ દ્વારા આ પ્રોજેક્ટનું ટેન્ડર ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવાતા હવે ટૂંક સમયમાં બાંધકામ કાર્ય શરૂ થવાની શક્યતા છે. વર્ષોથી આ વિસ્તારમાં વધતા ટ્રાફિક અને સુરક્ષા સંબંધી સમસ્યાઓને કારણે લોકો નવા બ્રિજની માગ કરી રહ્યા હતા, જે હવે પૂર્ણ થતી જોવા મળી રહી છે.

જૂના બ્રિજની મર્યાદા, લોકો માટે મુશ્કેલી
હાલમાં ઢાઢર નદી પરનો જૂનો બ્રિજ ખૂબ જ જર્જરિત હોવાથી ત્યાંથી માત્ર 25 ટન વજન સુધીના વાહનોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવે છે. પરિણામે ભારે માલવાહક વાહનોને લાંબો વિકલ્પી માર્ગ લેવો પડે છે, જેના કારણે સમય, ઈંધણ અને ખર્ચમાં વધારો થાય છે. નવા સમાંતર બ્રિજના નિર્માણથી આ મર્યાદા સંપૂર્ણપણે દૂર થશે.
ઉદ્યોગ અને વેપારને મળશે વેગ
નવો બ્રિજ બનતા જ ભારે વાહનોની અવરજવર સરળ બનશે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગો, ખેતી આધારિત વેપાર અને પરિવહન વ્યવસ્થાને મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટ પંથકના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની આશા છે.
લોકપ્રતિનિધિઓના પ્રયાસોને મળી સફળતા
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી અપાવવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવેલી સતત રજૂઆતો ફળીભૂત થઈ છે. પંથકની જનતા દ્વારા બંને લોકપ્રતિનિધિઓનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
નવો બ્રિજ શરૂ થતાં જ જંબુસર–આમોદ માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, ઝડપી અને સુગમ બનશે, એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
