આમોદ:
આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા શાસકોની ટર્મ પૂર્ણ થતા જ સત્તા પરિવર્તનનું દ્રશ્ય સામે આવ્યું છે. નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થતાં વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી પાલિકાનો કબ્જો સંભાળી લીધો છે.
મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પાલિકા પરિસરમાં પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ વિપક્ષના નેતાના ચેમ્બરો સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ કેટલાક ચેમ્બરોના નામફલક પણ દૂર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જે સત્તાના અંતનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે.

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સત્તા પૂર્ણ થતાં હવે નગરપાલિકાનો સંપૂર્ણ વહીવટ તંત્રના અધિકારીઓના હસ્તક ગયો છે. આ કાર્યવાહી બાદ નગરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
નગરજનોમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે કે, શું હવે અગાઉના વહીવટ અને નિર્ણયો અંગે તપાસ હાથ ધરાશે? સાથે જ ભવિષ્યમાં પારદર્શક અને નિયમિત કામગીરી થાય તે માટે મજબૂત ચૂંટાયેલી બોડીની જરૂરિયાત અંગે પણ માંગ ઉઠી રહી છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે, લોકશાહી પ્રણાલીમાં સત્તા હસ્તાંતરણ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ નિયમિત સામાન્ય સભાઓ, બજેટ મંજૂરી અને વિકાસ કાર્યોમાં પારદર્શિતા જળવાઈ રહે તે અનિવાર્ય છે.
હાલ આમોદ નગરપાલિકામાં લાગેલા સીલ શહેરના રાજકીય દિશા-પરિવર્તનનો સંકેત બની રહ્યા છે અને આગામી સમયમાં નવી શાસક પાંખ કેવી રીતે ઉભી થાય છે તે પર સૌની નજર ટકેલી છે.

© JN Express. આ સમાચાર અથવા લેખની નકલ કરવા માટે પૂર્વ પરવાનગી જરૂરી છે.
