જંબુસર તાલુકાના દેહગામ નજીક દરિયામાં બોટમાં ખામી સર્જાતા ૮ માછીમારો દરિયામાં તણાયા હતા. સ્થાનિકોની મદદથી ૭ માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે સારોદ ગામનો ૨૫ વર્ષીય યુવાન અક્ષય કરસન વાઘેલા લાપતા બન્યો હતો.
મળતી માહિતી મુજબ, માછીમારી માટે દરિયામાં ગયેલી બોટમાં અચાનક ખામી સર્જાતા તેમાં સવાર ૮ માછીમારો દરિયામાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક માછીમારો દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી હતી અને ૭ માછીમારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જોકે સારોદ ગામનો ૨૫ વર્ષીય અક્ષય કરસન વાઘેલા લાપતા બન્યો હતો.
અક્ષય વાઘેલાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાપતા યુવાનના ત્રીજા દિવસે ગંગવા ગામ નજીક દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જંબુસર મામલતદાર સહિતનું તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. SDRFની ટીમ દ્વારા દરિયામાં રેસ્ક્યૂ અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ અક્ષય વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવાનના અકાળે નિધનથી પરિવારજનો તેમજ સ્વજનોમાં શોકનો માહોલ છવાયો છે.

