અમદાવાદના લોકો માટે વર્ષનો સૌથી મોટો મનોરંજન મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ–2025 આવતીકાલથી એટલે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા તળાવ ખાતે યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મેગા ઈવેન્ટ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરરોજ લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને આ વખતે અદ્યતન ટેક્નોલોજી સાથે ભીડ નિયંત્રણની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
કાર્નિવલ દરમિયાન આ વર્ષે અનેક નવા અને અનોખા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. ખાસ કરીને ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ દુબઈમાં લોકપ્રિય એવા પાયરો શો (આગ સાથે નૃત્ય) મુખ્ય આકર્ષણ બનશે. આ સાથે સંગીતપ્રેમીઓ માટે કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે અને બ્રિજદાન ગઢવી જેવા પ્રખ્યાત કલાકારોના જીવંત સંગીત કાર્યક્રમો પણ યોજાશે.
ભીડ વ્યવસ્થાપન માટે કાંકરિયાના તમામ 7 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી લાઈવ મોનિટરિંગ થશે કે અંદર કેટલા લોકો હાજર છે. સુરક્ષા અને અનિચ્છનીય ઘટનાઓને અટકાવવા માટે AMC દ્વારા કાર્નિવલ માટે અંદાજે રૂ. 5 હજાર કરોડનો વીમો લેવાયો છે, જેના માટે રૂ. 3.91 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે.
કાર્નિવલમાં પ્રવેશ સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સંપૂર્ણ ફ્રી રહેશે. AMC દ્વારા ત્રણ અલગ-અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે —
• સ્ટેજ-1: પુષ્પકુંજ ગેટ
• સ્ટેજ-2: બાલવાટિકા
• સ્ટેજ-3: વ્યાયામ વિદ્યાલય
ત્રણે સ્ટેજ પર સાતેય દિવસ જુદા જુદા સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત અન્ય રાજ્યોના લોકનૃત્ય, સંસ્કૃતિ અને ખાસ ફૂડ સ્ટોલ્સ પણ આ વર્ષે કાર્નિવલનો ભાગ બનશે. સમગ્ર આયોજનને ધ્યાનમાં લઈ કહી શકાય કે કાંકરિયા કાર્નિવલ 2025 અમદાવાદીઓ માટે યાદગાર અનુભવ બનવાનો છે.

