આમોદ ખાતે બચ્ચો કા ઘર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આનંદ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવા અને તેમનામાં વ્યવસાયિક સમજ વિકસાવવા માટે આ મેળો એક મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો.
આનંદ મેળાનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બચ્ચો કા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી ઇબ્રાહિમભાઈ રાણા, તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. મહેમાનોએ બાળકોના પ્રયાસોને વખાણતા કહ્યું કે આવું શિક્ષણ જ ભવિષ્યના આત્મનિર્ભર નાગરિકો તૈયાર કરે છે.
મેળા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતે તૈયાર કરેલી વિવિધ વાનગીઓ અને વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા. ચીજવસ્તુઓની ખરીદી-વેચાણ પ્રક્રિયામાં બાળકોે ભાવ નક્કી કરવાથી માંડીને ગ્રાહકો સાથે વ્યવહાર સુધીની સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ ટીમવર્ક, આત્મવિશ્વાસ, આયોજન ક્ષમતા અને વ્યવસાયિક સૂઝબૂઝ જેવા મહત્વપૂર્ણ જીવનકૌશલ્યો શીખ્યા.
શાળામાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલને સ્થાનિક સમાજ દ્વારા પણ સરાહના મળી હતી. આનંદ મેળાએ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું શિક્ષકોએ જણાવ્યું.

